માનવ સંબંધોનું સાચું સૌંદર્ય ત્યારે ખીલેછે જ્યારે પ્રેમ સાથે સમજણનો સુમેળ હોય. ""કોઈ તો સમજો મને"" એવી જ લાગણીસભર વાર્તાઓનો સંગ્રહ છે, જે મનુષ્યના દિલના સૌથી નાજુક ખૂણાઓને સ્પર્શે છે. જીવનના દરેક તબક્કામાં – પતિ-પત્ની, માતા-પિતા અને સંતાનો, દાદા-દાદી, મિત્રતા, પડોશી સંબંધો, એમ્પ્લોયર-એમ્પ્લોયી, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને નિવૃત્ત લોકો – દરેકને સમજવાની ઈચ્છા હોય છે, પણ ઘણીવાર આ સમજણના અભાવે સંબંધોમાં તાણ ઊભા થાય છે.
પુસ્તકની દરેક વાર્તા માત્ર સંબંધોની ખામીઓ દર્શાવીને અટકતી નથી, પણ તેના સરળ ઉકેલો પણ આપે છે. ""Anything will do"" જેવી નાની વાતો કે જે પતિ-પત્ની વચ્ચેના લાગણીના ખાલીપાને વધારતી હોય, તેને કેવી રીતે પ્રેમભર્યા સંવાદ અને આભારના શબ્દોથી દૂર કરી શકાય તે લેખક સુંદર રીતે બતાવે છે.
પ્રેક્ષા જેવી સ્ત્રીના જીવનમાં પોતાનું અસ્તિત્વ કેવી રીતે પાછું મેળવવું તે પુસ્તક પ્રેરણાદાયક રીતે દર્શાવે છે. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેની ગેરસમજો, નિવૃત્ત વયના લોકોની એકલતા, અથવા ટેકનોલોજીના કારણે ઓછા થતાં સંવાદ – દરેક સમસ્યાને આ વાર્તાઓ જીવન્ત રીતે રજૂ કરે છે.
તુષાર મેહતાની સરળ ભાષા, સચોટ સંવાદ અને ભાવસભર અભિવ્યક્તિ આ પુસ્તકને માત્ર વાંચવા માટેનું નહીં, પણ જીવવા માટેનું માર્ગદર્શન બનાવે છે. આ પુસ્તક દરેક વાચકને એક સંદેશ આપે છે – ""પ્રેમને સાચવવો હોય તો પહેલા એકબીજાને સમજવું શીખો.""